IndiaPolitics

નેશનલ હેરાલ્ડ કેસમાં EDને મળી મોટી સફળતા, હવાલા ટ્રાન્ઝેક્શનની કડીઓ મળી

નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મોટી સફળતા મળી છે. કોલકાતા અને મુંબઈમાં સર્ચ દરમિયાન EDને કેટલીક શંકાસ્પદ એન્ટ્રીઓ તેમજ હવાલા વ્યવહારોની કડીઓ મળી છે. કોલકાતામાં ડોટેક્સ કંપનીની ઓફિસમાંથી યંગ ઈન્ડિયાને આપવામાં આવેલી 50 લાખ રૂપિયાની લોન સંબંધિત મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ એન્ટ્રી બુકમાં મળેલા હવાલામાંથી ટ્રાન્ઝેક્શનની કડીઓ મળી આવી છે. હાલ આ તમામની તપાસ ચાલી રહી છે.

બીજી તરફ ગઈકાલે મોટી કાર્યવાહી કરતા EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી છે. આ સાથે, EDએ નિર્દેશ આપ્યો છે કે એજન્સીની પરવાનગી વિના પરિસરને ખોલવું જોઈએ નહીં. EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર પૂર્વ પરવાનગી વગર ઓફિસ ન ખોલવા માટે નોટિસ લગાવી છે. EDએ મંગળવારે આ ઓફિસની તપાસ કરી હતી, ત્યારબાદ તેને સીલ કરી દેવામાં આવી છે. EDની ટીમે અહીં દસ્તાવેજો શોધવા માટે દરોડા પાડ્યા હતા.

અગાઉ નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ દિલ્હી, લખનૌ, કોલકાતામાં 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૈસાની લેવડદેવડ સંબંધિત વધારાની માહિતી એકઠી કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા મુખ્યત્વે એવા એકમો પર પાડવામાં આવ્યા હતા જેઓ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા વ્યવહારોમાં સામેલ હતા. આ કેસમાં તાજેતરના કેટલાક લોકોની પૂછપરછમાંથી બહાર આવેલા નવા પુરાવાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરી છે. આ અંગે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ED દ્વારા સોનિયા અને રાહુલની પૂછપરછને લઈને કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત પંડિત જવાહરલાલ નેહરુએ વર્ષ 1938માં કરી હતી. આ અખબાર ચલાવવાની જવાબદારી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) નામની કંપનીની હતી. આ કંપનીમાં શરૂઆતથી જ કોંગ્રેસ અને ગાંધી પરિવારનું વર્ચસ્વ હતું. લગભગ 70 વર્ષ પછી, 2008માં, જ્યારે કોંગ્રેસે પાર્ટી ફંડમાંથી AJLને વ્યાજ વગર 90 કરોડ રૂપિયાની લોન આપી ત્યારે નુકસાનને કારણે અખબારને બંધ કરવું પડ્યું.

Back to top button