GujaratPolitics

આમ આદમી પાર્ટીના નવા સંગઠનને લઈને સુરતમાં ગોપાલ ઈટાલીયાના પૂતળાનું કરાયું દહન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણ પણ ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા સતત રેલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે. એવામાં થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી દ્વારા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ સંગઠન કરવું આમ આદમી પાર્ટીને ભારે પડી રહ્યું છે. કેમ કે તેને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી માહિતી મુજબ, સુરતમાં આમ આદમી પાર્ટીના નવા સંગઠનને લઈને વિરોધ કરવામાં આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં અનુસૂચિત જનજાતિ સમાજની સાથે સમતા સૈનિક દળના કાર્યકર્તાઓએ આપ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના પૂતળાનું દહન કર્યું હોવાનું સામે આવ્યું છે. આમી આદમી પાર્ટી દ્વારા જય ભીમ મોરચા, બિરસા મુંડા મોરચાની રચના કરવામાં આવી છે. એવામાં આપ દ્વારા જ દલિત સમાજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો આરોપ લગાવીને સુરતમાં આમ આદમી પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સંગઠન અને વિવિધ મોરચાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ આમ આદમી પાર્ટી દ્વારા બિરસા મુંડા મોરચો અને જય ભીમ મોરચાની પણ રચના કરવામાં આવી હતી. એવામાં દલિત સમાજ સાથે સંકળાયેલ સમતા સૈનિક દળ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ઈટાલીયાના પૂતળાનું દહન કરીને પાર્ટીની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, માત્ર રાજકીય લાભ મેળવવા માટે ભીમ મોરચા અને બિરસા મુંડાના નામનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો છે.

તેની સાથે સમતા સૈનિક દળના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આપના પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. તેને બિરસા મુંડા અને જય ભીમ કમિટીનું નામ આપવામાં આવેલ છે. તેમ છતાં સંગઠનમાં અન્ય કોઈ મહાપુરૂષના નામે કમિટીની રચના કરાઈ નથી. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, આપ દ્વારા અનુસૂચિત જાતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેના લીધે અમારા દ્વારા આમ આદમી પાર્ટી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Back to top button